• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

બનાસકાંઠા જીલ્લાઓમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી માટે પ્રભારી સચિવશ્રી અરૂણકુમાર સોલંકીના અધ્ય ક્ષસ્થાને પાલનપુર ખાતે તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

(માહિતી બ્યુરો,પાલનપુર)

          આગામી તા.૨૬ જાન્‍યુઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જીલ્‍લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવશે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જીલ્‍લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલ આયોજન અને હાથ ધરવામાં આવેલ તૈયારીઓ અંગે પ્રભારી સચિવશ્રી અરૂણકુમાર સોલંકીના અધ્‍યક્ષસ્‍થાને પાલનપુર મુકામે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

         બેઠકમાં ઉજવણી પ્રસંગે કરાયેલ આયોજન અને તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે પ્રભારી સચિવશ્રીએ વિગતવાર સમીક્ષા કરી ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સુચના આપી હતી. તેમણે કહ્યું કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સમગ્ર જીલ્‍લામાં હર્ષ અને ઉત્‍સાહ તથા રાષ્‍ટ્રપ્રેમભર્યો સરસ માહોલ સર્જાય તેવુ પરિણામદાયી આયોજન અને જરૂરી વ્‍યવસ્‍થા કરીએ. પ્રભારી સચિવશ્રીએ કહ્યું કે બનાસકાંઠા જીલ્‍લાની ગૌરવભરી ઓળખ આ પ્રસંગે રાજય અને દેશ સમક્ષ રજુ થશે.

        પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે તા. ૭ થી ૨૬ જાન્‍યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં દરેક દિવસની ઉજવણી વિશેષ રીતે કરવામાં આવશે. તા. ૭ જાન્‍યુઆરીની યુવા સ્‍વાવલંબન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.. આ દિવસે યુવા રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્‍યો હતો.. તા. ૮ જાન્‍યુઆરીની સ્‍વચ્‍છતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર જીલ્‍લામાં વિશાળ પાયે સ્‍વચ્‍છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તા.૯ જાન્‍યુઆરીએે મહિલા અને બાળ આરોગ્‍ય દિવસ તરીકે, તા. ૧૦ જાન્‍યુઆરીની  વિધુત દિવસ, તા. ૧૧ જાન્‍યુઆરી પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ દિવસ, તા. ૧૨ જાન્‍યુઆરી ટ્રાફીક જાગૃતિ દિવસ, તા. ૧૫ જાન્‍યુ. આરોગ્‍ય દિન, તા. ૧૬ જાન્‍યુ. સ્‍પોર્ટસ ડે, તા. ૧૭ જાન્‍યુ. કૃષિ દિવસ, તા. ૧૮ જાન્‍યુ. વન અને પર્યાવરણ દિવસ, તા. ૧૯ જાન્‍યુ. જળ દિવસ, તા. ૨૦ સામાજીક ન્‍યાય દિવસ, તા. ૨૧ કાયદા દિવસ અને તા. ૨૨ થી ૨૪ જાન્‍યુઆરી દરમ્‍યાન જીલ્‍લામાં હેરીટેઝ વોક યોજાશે. જેમાં બેન્‍ડની સુરાવલી સાથે હજારો વિધાર્થીઓ અને લોકો જોડાશે.

        પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રંગારંગ શાનદાર સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ પ્રસંગે વોલ પેઇન્‍ટીંગ અને વિવિધ પ્રદર્શનો યોજવામાં આવશે. બેઠકમાં પ્રાન્‍ત અધિકારીશ્રીએ  આયોજનની વિગતો આપતાં જણાવ્યું કે રાજયકક્ષાની ઉજવણી માટે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને મુખ્ય સંકલન સમિતિ સહિત એટ હોમ કાર્યક્રમ સમિતિ, પરેડ, સલામતિ અને ટ્રાફીક નિયમન સમિતિ, આમંત્રણ, સ્વાગત અને પ્રોટોકોલ સમિતિ, વાહન સંપાદન અને ફાળવણી સમિતિ, મેગા ઇવેન્ટસ કાર્યક્રમ સમિતિ, વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂર્હત સમિતિ, મંડપ, લાઇટ, માઇક, રોશની, હેલીપેડ, બેઠક વ્યવસ્થાપન સમિતિ, પ્રજાસત્તાક દિન પૂર્વે યોજવામાં આવનાર ખાસ દિવસોની પૂર્વ તૈયારીના ઉજવણીના રીપોર્ટીગની સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઉજવણી મહોત્સવ સમિતિ, મહેમાનો માટે વ્યવસ્થાપન સમિતિ, ભોજન/અલ્પાહાર સમિતિ, આરોગ્ય સમિતિ, સ્વચ્છતા અને સુશોભન સમિતિ, પ્રેસ મિડીયા અને પ્રચાર-પ્રસાર સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ સંકલન સમિતિ, ડીઝાસ્ટર સમિતિ આમ કુલ- ૧૭ જેટલી સમિતિઓની રચના કરી તે પ્રમાણે કામગીરીની વહેંચણી કરવામાં આવી છે અને તે પ્રમાણે તમામ સમિતિઓએ તેમની કામગીરી શરૂ કરી દીધી છે. 

          પ્રજાસત્તાક દિનની રાજયકક્ષાની ઉજવણીને અનુલક્ષી બનાસકાંઠા જિલ્લાની તમામ કચેરીઓમાં રોશની અને શણગાર કરવામાં આવશે તેમજ સ્‍વચ્‍છતા ઝુંબેશ દ્વારા જિલ્‍લાભરમાં સફાઇ કરવામાં આવી રહી છે. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્‍યાએ તા. ૨૫ જાન્‍યુઆરીના રોજ એટ હોમ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજયપાલશ્રી ઓ.પી. કોહલી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જિલ્લાના નાગરિકો સાથે શુભેચ્છા આપ-લે કરશે.

         તા. ૨૬ જાન્‍યુઆરીએ ધ્વજ વંદનનો મુખ્ય કાર્યક્રમ પાલનપુર ખાતે ધનિયાણા ચોકડી નજીક હાઇવે પર રામપુરા મેદાનમાં યોજાવવાનો છે તથા એટ હોમ કાર્યક્રમ શ્રી જી. ડી. મોદી કોલેજ સંકુલમાં યોજાશે. પ્રભારી સચિવશ્રીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે યોજાનાર તમામ કાર્યક્રમોના સ્‍થળોની  મુલાકાત લઇ નિરીક્ષણ કરી અધિકારીઓને માર્ગદર્શન આપ્‍યું હતું.  

       ઉલ્‍લેખનીય છે કે બનાસકાંઠા જીલ્‍લામાં રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી યોજાવવાની છે ત્‍યારે કલેકટરશ્રી સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર વિશાળ પાયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

           બેઠકમાં કલેકટરશ્રી સંદીપ સાગલે, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી બી.એ.શાહ, નાયબ વન સંરક્ષકશ્રી સિંઘ, નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયા, પ્રાન્‍ત અધિકારીશ્રી જોષી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચાવડા, યુ.જી.વી.સી.એલ. ના અધિક્ષક ઇજનેર શ્રીએલ.એ. ગઢવી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

08 Jan 2019